હે અર્જુન ! પ્રસન્ન થયેલા મેં આ મારુ તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્યથી તને બતાવ્યું છે, જે તારા વિના બીજાએ પૂર્વે જોયું નથી. (૪૭)
ભાવાર્થ
ભગવાન કહે છે કે
હે અર્જુન ! અનુગ્રહપૂર્વક મે મારી યોગશક્તિના પ્રભાવથી આ મારુ પરમ તેજોમય આદિ અંત રહિત વિરાટ સ્વરૂપ તને દેખાડયું તે મે તારા પહેલા કોઈને દેખાડયું નથી.
કૃષ્ણ દ્વારા આ રૂપ અર્જુનને દેખાડાયું તે પહેલીવાર જ છે. કૃષ્ણ દ્વારા અગર કોઈ અર્જુન બનવા તૈયાર હોય તો જ આ રૂપ દેખાડી શકાય. કારણ કે અર્જુન જેવું એટલું નિ:સંદેહ - એટલું પૂર્ણ શ્રદ્ધાથી - એટલા સમગ્રભાવથી સમર્પિત થવું બહુ જ મુશ્કેલ છે. કૃષ્ણે આ રૂપમાં - કૃષ્ણના રૂપમાં જેને આવું રૂપ દેખાડયું તે એકલો અર્જુન જ છે. અર્જુન થવું અત્યંત કઠણ છે. કૃષ્ણ થવું એટલું કઠણ નથી. કૃષ્ણ થવું એ તો માત્ર પોતાની શ્રદ્ધાથી થવાય પરંતુ અર્જુન થવા માટે તો બીજાની ઉપર - સામાની ઉપર શ્રદ્ધા, ભરોસાથી પૂર્ણતયા સમર્પિત થવું પડે, જે અત્યંત મુશ્કેલ છે. એટલા માટે અર્જુનને ખોળવો કૃષ્ણને પણ મુશ્કેલ પડે છે. જીસસને, બુદ્ધને આવો કોઈ અર્જુન મળ્યો નથી.