Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્ ।
દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો ॥ ૨૪॥

નભઃ સ્પૃશમ્ દીપ્તમ્ અનેકવર્ણમ્ વ્યાત્તાનનમ્ દીપ્તવિશાલનેત્રમ્ ।

દૃષ્ટ્વા હિ ત્વામ્ પ્રવ્યથિતાન્તરાત્મા ધૃતિમ્ ન વિન્દામિ શમમ્ ચ વિષ્ણો ॥

દૃષ્ટ્વા - જોઈને

હિ - જ

પ્રવ્યથિતાન્તરાત્મા - મનમાં ભય પામેલો (હું)

ધૃતિમ્ - ધીરજ

ચ - અને

શમમ્ - શાંતી

ન વિન્દામિ - મેળવી શકતો નથી.

વિષ્ણો - હે વિષ્ણો !

નભઃ સ્પૃશમ્ - આકાશને અડેલા

દીપ્તમ્ - પ્રકાશમય

અનેકવર્ણમ્ - અનેક વર્ણોવાળાં

વ્યાત્તાનનમ્ - ઉઘાડેલા મુખોવાળા (તથા)

દીપ્તવિશાલનેત્રમ્ - પ્રકાશમય વિશાલ નેત્રોવાળા

ત્વામ્ - આપના (રૂપને)

હે વિષ્ણો ! આકાશને સ્પર્શ કરતા, તેજસ્વી, અનેક વર્ણવાળા, ફાડેલા મોઢાવાળા, અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈ અતિ વ્યાકુળ મનવાળો હું ધીરજ કે શાંતિ પામતો નથી. (૨૪)

ભાવાર્થ:

અર્જુન કહે છે કે આકાશને સ્પર્શતું દેદીપ્યમાન, અનેક રૂપોથી યુક્ત અને પહોળા મોઢા કરેલું પ્રકાશમાન વિશાળ નેત્રોવાળું આપનું સ્વરૂપ જોઈને ભયભીત અંતઃકરણવાળો હું (પ્રવ્યથિતાન્તરાત્મા) ધીરજ અને શાંતિને પ્રાપ્ત થતો નથી. અર્જુન બરાબર કહે છે. આપને લીધે નહીં પરંતુ હું ભયભીત અંતઃકરણવાળો છું તેને લીધે હું ભયભીત થાઉં છું. આપ તો વિશાળ છો - મહાન છો - પરમેશ્વર છો પરંતુ હું ભયભીત અંતઃકરણવાળો છું. કારણ કે અત્યાર સુધી મેં કદાપિ જાણ્યું કે સાંભળ્યું પણ નથી કે પરમાત્માનું સ્વરૂપ મૃત્યુના જેવું વિકરાળ પણ હોઈ શકે. નાનપણથી જ અર્જુનના અંતઃકરણમાં પરમાત્માની એક સૌમ્ય - સુંદર - કરુણામય પ્રતિમા સ્થાપિત થયેલી છે અને તે પ્રતિમા આજે ખંડિત થઇ રહેલી દેખાય છે તેથી તેનું અંતઃકરણ ધ્રુજારી અનુભવે છે.