આપને આદિ, મધ્ય અને અંત વિનાના, અનંત શક્તિવાળા, અનંત બાહુવાળા, ચંદ્ર-સૂર્ય રૂપ નેત્રોવાળા, પ્રદીપ્ત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું. (૧૯)
ભાવાર્થ:
આ શ્લોકમાં બીજું રૂપ શરુ થાય છે - ઉપરના ૧૮ માં શ્લોકમાં બતાવેલું પહેલું રૂપ સુંદર - મોહક - મનોહર અને આકર્ષક દેખાયું. હવે બીજું રૂપ દેખાય છે તે જીવનને તપાવે તેવું - ભયકંર - અગ્નિમુખવાળું - મૃત્યુ જેવું વિકરાળ - વિનાશકારી સ્વરૂપ દેખાય છે.
અર્જુન કહે છે - આપના અનંત મુખ પ્રજ્વલિત અગ્નિરૂપ છે અને દરેક મુખમાં આગ સળગી રહી છે. આભા નહી - પ્રકાશ નહીં - આગ. પહેલા ઐશ્વર્યની આભા દેખી, પછી સૂર્યનો પ્રકાશ દેખ્યો - હવે અગ્નિનો અનુભવ થાય છે. મુખમાં અગ્નિની લપેટો નીકળે છે જે આખા જગતને તપાયમાન કરે છે કે જે ત્રણે લોકને તપાવીને ભસ્મીભૂત કરી શકે.
જીવન એ વિપરીત દ્વંદ્વોની જોડ છે - dialectical દ્વંદ્વાત્મક છે - એક છેડે જન્મ છે તો બીજે છેડે મૃત્યુ છે. એક છેડે પ્રેમ - સુખ - સફળતા છે તો બીજે છેડે ઘૃણા - દુઃખ - નિષ્ફળતા છે. અને આ દ્વંદ્વોના આધાર ઉપર આખા જીવનની ગતિ છે. (એક્સેલરેટર અને બ્રેક આ બે વિપરીત દ્વંદ્વોની વચમાં મોટરકારની ગતિ છે.) તેમાં જે પ્રીતિકર હોય તે બચી જાય અને જે અપ્રીતિકર હોય તે સમાપ્ત થઇ જાય તેવું આપણે ઇચ્છીએ છીએ અને તેથી જ પ્રીતિકર સુખની આશા ઈચ્છા સેવતા સેવતા આપણે દુઃખના ખાડામાં ગબડીએ છીએ.
આપણે સમજતા નથી કે પ્રીતિકર સુખ અને અપ્રીતિકર દુઃખ બંને જોડાયેલા જ હોય છે અને તે બંને સાથે જ આવે. કાં તો બંનેને છોડો કાં તો બંનેને પકડો. માત્ર એકને જ - પ્રીતિકર સુખને જ પકડીને અપ્રીતિકર દુઃખને છોડવા જાઓ તો તે ના બને. કારણ કે બંને વિપરીત દ્વંદ્વો એકબીજાથી જોડાયેલા જ છે. અને તે બંને સાથે જ આવવાનાં. સુખની પાછળ દુઃખ આવે જ. સુખનો પડછાયો જ દુઃખ છે. બંને દ્વંદ્વો જીવનના અનિવાર્ય હિસ્સા છે. ટેકરો કરો તો તેની બાજુમા જ ખાડો પડવાનો. ટેકરો કરો અને ખાડો પૂરાઈ જાય તેવું ના બને. ખાડો પૂરવો હોય તો ટેકરાને ખતમ કરવો જ પડે. અને તો પછી સમતળ ભૂમિ જ રહે, જ્યાં ખાડો અને ટેકરો બંને સમાપ્ત થઇ જાય. કાળા વાદળામાં જ વીજળીની ચમક દેખાય. જીવનની બધી ચમક મૃત્યુની પૃષ્ઠભૂમિમાં જ દેખાય. દ્વંદ્વ એ જ જીવનનું સ્વરૂપ છે.