સમબુદ્ધિનો અર્થ પ્રાયઃ બ્રહ્મબુદ્ધિ, આત્મબુદ્ધિ, પરમાત્મબુદ્ધિ છે. વાસુદેવ: સર્વમિતિ |
નાટકમાં ઉતરેલા વિવિધ પાત્રોમાં એક રાજા બને, એક ચોર બને, એક ફોજદાર બને. રાજા ચોરને દંડ કરે અને ફોજદારને ઇનામ આપે. બધા પાત્રો અસલ સ્વરૂપને ભૂલતા નથી. અને એક જ ડાયરેક્ટરના હાથ નીચે પોતપોતાના પાઠ રાગદ્વેષ વગર સુખદુઃખને સરખા ગણીને ભજવે છે, અને સમદ્રષ્ટિ રાખે છે. સોનાના ઘડેલા ઘરેણાંમાં, વિવિધ આભૂષણોમાં સોની બધામાં સોનુ જ દેખે છે.
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા. અંતે તો હેમનું હેમ હોયે.
માણસ કોઈની સાથે મિત્રતાથી વર્તે છે કારણ કે તેનાથી તેને લાભ થાય છે અગર તો લાભ થવાની શક્યતા છે. કોઈની સાથે શત્રુતા રાખે છે કારણ કે તેનાથી તેને નુકસાન થાય છે. અગર તો નુકસાન થવાની સંભાવના છે. પરંતુ જેને લાભની અપેક્ષા નથી અગર તો નુકસાન થવાનો ભય નથી તેને કદાચ શત્રુ અગર મિત્ર હોય તો પણ તે બંનેમાં તે સમદ્રષ્ટિ રાખી શકે છે. યુધિષ્ઠિરને દુર્યોધન વગેરે ઘણા શત્રુઓ હતા છતાં પોતે અજાતશત્રુ કહેવાતા હતા કારણ કે તેમને કોઈ પ્રત્યે શત્રુતા નહોતી. આમ યુધિષ્ઠિરમાં સમદ્રષ્ટિ હતી છતાં પોતે ધર્મયુધ્ધમાં પ્રવૃત પણ થયા હતા.