Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે ।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ॥૩॥

આરુરુક્ષો: મુને: યોગમ્ કર્મ કારણમ્ ઉચ્યતે

યોગારૂઢસ્ય તસ્ય એવ શમઃ કારણમ્ ઉચ્યતે

અને :

તસ્ય - તે

યોગારૂઢસ્ય - યોગમાં આરૂઢ થયેલા પુરુષના

શમઃ - સર્વ સંકલ્પોનો અભાવ

એવ - જ

કારણમ્ - કલ્યાણનું સાધન

ઉચ્યતે - કહેવાય છે.

યોગમ્ - યોગમાં

આરુરુક્ષો: - આરૂઢ થવાની ઈચ્છાવાળા

મુને: - મનનશીલ પુરુષને માટે

કર્મ - નિષ્કામભાવે કર્મ કરવું એ

કારણમ્ - સાધન

ઉચ્યતે - કહેવાય છે (અને)

યોગમાં પ્રવેશ કરવા ઇચ્છતા સંયમી માટે (અનાસક્તિપૂર્વક) કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે શમ (એ તેને યોગરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર) સાધન છે. (૩)

ભાવાર્થ

સમત્વબુદ્ધિરૂપી યોગમાં આરૂઢ થવાની ઇચ્છાવાળો મુનિ (એટલે મનનશીલ પુરુષ) ને માટે નિષ્કામ કર્મ તે હેતુ, સાધન કારણ છે. સમત્વ બુદ્ધિ એટલે શું? આપણું મન સાધારણ રીતે બે અતિઓ (extremes) ની વચ્ચે ઘુમતું હોય છે - કા તો પ્રેમમાં પાગલ, કા તો ઘૃણામાં પાગલ. સંગ્રહ માટે પણ વિક્ષિપ્ત અને ત્યાગ માટે પણ વિક્ષિપ્ત. મિત્ર બનવું સહેલું, શત્રુ બનવું સહેલું પરંતુ મિત્રતા અને શત્રુતા બંનેની વચમાં સ્થિર થવું કઠણ છે. જીવનના બધા રૂપો દ્વંદ્વના રૂપો છે. જીવન બધે દ્વંદ્વ છે. જે યોગારુરુક્ષુ: છે, યોગની સાધના કરવા ઈચ્છે છે તેણે યોગ સાધનાના જે જે સાધનો છે તે (અષ્ટાંગયોગ) કરવા જ પડે. તેણે (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે) પાંચ યમ તથા (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન વગેરે) પાંચ નિયમ તથા આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ સાધનો માણસે પોતાની મેળે પોતાના પુરુષાર્થથી જ કરવા પડે. અને બાકીના ત્રણ સાધનો ધારણા, ધ્યાન અને સમાધિ તે ભગવદ્ અનુગ્રહ સહીત પોતાના પુરુષાર્થથી કરવા જોઈએ.

આ પ્રમાણે જયારે તેની ઉપરોક્ત યોગસાધના સમાપ્ત થાય અને યોગી આરુરુક્ષુમાંથી તે યોગરુઢની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે તે સિદ્ધપુરુષે ઘણી જ સાવધાનતાની સાથે 'શમ'નું અવલંબન કરવું જોઈએ. શમ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં ના ફસાવું, કર્મ અગર તો કર્મના ફળમાં લુબ્ધ ના થવું અને સર્વ સંકલ્પોનો ત્યાગ કરવો - આ આખી પ્રક્રિયા આ છઠ્ઠા અધ્યાયના શ્લોક ૨૪-૨૫-૨૬ માં પરમાત્માએ લંબાણમાં સમજાવેલી છે.

આરુરુક્ષુ: એટલે જે યોગસાધના કરવા ઈચ્છે છે, મનથી યોગનો અભ્યાસ કરવાની ઇચ્છાવાળો.

યોગારૂઢ: એટલે જેણે પોતાનો યોગાભ્યાસ સમાપ્ત કર્યો છે તે.