શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ॥૮॥

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થ: વિજિતેન્દ્રિયઃ

યુક્ત: ઇતિ ઉચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચન:

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા - (શાસ્ત્રીય) જ્ઞાન અને (અનુભવયુક્ત) વિજ્ઞાન વડે જેનું અંતઃકરણ તૃપ્ત છે,

કૂટસ્થ: - વિકારરહિત જેની સ્થિતિ છે,

વિજિતેન્દ્રિયઃ - જેણે ઇન્દ્રિયોને સારી રીતે જીતેલી છે,

સમલોષ્ટાશ્મકાંચન: - માટી, પથ્થર અને સોનુ જેને (મન) સરખા છે,

યોગી - (તે) યોગી

યુક્ત: - યોગારૂઢ છે.

ઇતિ - એમ

ઉચ્યતે - કહેવાય છે.

ઠંડી - ગરમી, સુખ - દુઃખ તથા માન - અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે, તેને પરમાત્માનો અનુભવ થાય છે. (૭)

જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો વિકારરહિત, જિતેન્દ્રિય અને માટીનું ઢેફું, પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી 'યુક્ત-યોગસિદ્ધ' કહેવાય છે. (૮)

ભાવાર્થ

માણસ જયારે જિતાત્મા અને પ્રશાંત થાય છે ત્યારે તે (પરમાત્મા સમાહિત:) પરમાત્મા એટલે કે વિશાલાત્મા બનીને શીત-ઉષ્ણમાં, સુખ-દુઃખમાં, માન-અપમાનમાં સમત્વભાવથી રહે છે, એવા યોગીને યોગ સિદ્ધ થયો કહેવાય. (યુક્ત ઇત્યુચ્યતે યોગી)

જિતાત્મા એટલે વિજયી આત્મા, જેણે સર્વ પ્રકારના પ્રલોભનો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તે. જે નિજાનંદમાં જ મસ્ત રહે છે, જેને પોતાની અંદર જ અખંડ આનંદ મળે છે તે જિતાત્મા કહેવાય. આની વિરુદ્ધ પરાજિતાત્મા છે કે જે સુખની લાલસાનો માર્યો ભટકે છે. જે બાહ્ય પદાર્થોમાં સુખ ખોળે છે અને તે નહીં મળતા અગર ગુમાવી બેસતા જે દુઃખ અનુભવે છે અને જેને નિજાનંદનો બિલકુલ અનુભવ નથી.

જિતાત્મા જ પ્રશાંતાત્મા થઇ શકે. પરાજિતાત્માને તેની ઇન્દ્રિયો અનેક બૈરીઓવાળા ધણીની માફક આમથી તેમ તાણાતાણી કરે છે તેથી તે કષ્ટાય છે અને આખરે પટકાય છે. તેથી તે શાંત તથા સમાહિત અર્થાત સમબુદ્ધિ થઇ શકતો નથી. જિતાત્મા, પ્રશાંતાત્મા, સમાહિતાત્મા જ પરમાત્મા કે પરમાત્મા સમ હોય છે. એટલે કે તે વિશાલાત્મા બને છે. આ દ્રષ્ટિએ અહીં 'પરમાત્મા' શબ્દ વિશેષ હેતુથી પ્રયુક્ત થયો છે.

જયારે આત્મા પ્રાકૃતિક ગુણોથી (સત્ત્વ, રજ, તમ ગુણો) દોરડાથી સંયુક્ત થાય છે, બંધાય છે ત્યારે તેને ક્ષેત્રજ્ઞ (જીવાત્મા) કહેવાય છે અને જયારે તે આ પ્રાકૃતિક ગુણોથી મુક્ત થાય છે, ગુણાતીત થાય છે ત્યારે તેને પરમાત્મા કહેવાય છે. ગુણો વડે યુક્ત થાય તે જીવ અને મુક્ત થાય તે શિવ.

પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને આધીન રાખે તે 'જિતેન્દ્રિય' અને અનાયાસે સ્વાભાવિક રીતે જેની ઇન્દ્રિયો આધીન રહે તે 'વિજિતેંદ્રિય' કહેવાય.

સમલોષ્ટાશ્મકાંચન: | - જેને લોખંડ અને સોનુ અને પથ્થરમાં સમભાવ છે, જે સોનુ જોઈને વિચલિત થતો નથી અને લોખંડ અને પથ્થર પ્રત્યે દ્વેષભાવ કરતો નથી. એવો માણસ સોનાની કિમંત નથી જાણતો તેમ નહીં પરંતુ તે સોનાના પ્રલોભનમાં ફસાતો નથી. તે તમામ વિભિન્ન પદાર્થોમાં એક અભિન્ન તત્ત્વ (બ્રહ્મ તત્ત્વ)ને અનુભવે છે.

સ્ત્રીપુંભિદામ ન તુ સુતસ્ય વિવિક્તઃ દ્રષ્ટે: | (શ્રીમદ્ ભાગવત)

શુકદેવજીની વિવેકદૃષ્ટિમાં તેમને સ્ત્રીપુરુષનો પણ ભેદ દેખાતો નહોતો. તમામ સાકારમાં તેમને માત્ર નિરાકાર પરમાત્મા જ દેખાતો હતો.

શિતોષ્ણસુખદુઃખેષુ | બદ્ધ અને મુક્તને શીત - ઉષ્ણ તથા સુખ અગર દુઃખથી શારીરિક ક્લેશ શરીર-ધર્માનુસાર સરખા જ થાય છે પરંતુ બદ્ધ જીવાત્મા તેનાથી પોતાની નિર્બળતાને લીધે કલેશ પામે છે જયારે મુક્તાત્મા તેમાં સમાહિત થઈને સમભાવ કેળવે છે, એટલે કે ઉદ્વિગ્ન થતો નથી. કારણ કે તે દ્રષ્ટાભાવે સાક્ષીરુપે પોતાના શારીરિક સુખદુઃખને નિહાળે છે.

સુખની, મનની આકાંક્ષા કરવાથી દુઃખનું, અપમાનનું વૃક્ષ ફલિત થાય છે. સુખની આકાંક્ષા બીજ છે તેને નષ્ટ કરો તો દુઃખનું વૃક્ષ ના ઉગે. લોકો ધર્મની પણ સુખની આશાથી તલાશ કરે છે. તે લોકો જાણતા નથી કે ધર્મને સુખની સાથે કોઈ સંબંધ નથી. One pound of pleasure brings one ton of miseries. ચિત્તવૃત્તિ જયારે તમામ દ્વંદ્વોમાં પણ નિષ્કમ્પ બની રહે અને fully crystalized થઇ જાય ત્યારે પરમાત્મા સાથે મિલન થાય, 'પરમાત્મા સમાહિત:' થાય. આત્મજ્ઞાન એટલે જ આત્મવિજય, વિજિતાત્મા.

જ્ઞાનવિજ્ઞાન તૃપ્તાત્મા |

જ્ઞાનીને બધા પ્રશ્નોના જવાબો આવડતા હોય છે તેવું નહીં પરંતુ તેણે કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જેણે સ્વયંને જાણી લીધું છે, જેને હવે કોઈ પ્રશ્ન છે જ નહીં તે ખરો જ્ઞાની.

યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥

(ગીતા - ૭/૨)

જેને જાણ્યા પછી જેને કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી તે ખરો જ્ઞાની. અસ્તિત્વ એટલે કે પરમાત્મા, નિરુત્તર છે (without any ultimate answer). માટે તો તે રહસ્ય (secret) છે.

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમ્ આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ ।

આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ॥ (ગીતા - ૨/૨૯)

આ જગત કોણે બનાવ્યું, તેને બનાવનારને કોણે બનાવ્યો, જગત શા માટે બનાવ્યું, જગત ક્યાં મસાલાનું બનેલું છે, આ બધા પ્રશ્નોના સચોટ (definite) જવાબો કોણ આપી શકે અને કેવી રીતે આપી શકે, કારણ કે જવાબ આપનારની પહેલાનું અનાદિ કાળથી જગત અને જગત બનાવનારો મોજૂદ છે જે અનંત છે. આ બધા અતિપ્રશ્નો છે. અજ્ઞાન અવિદ્યાને લીધે આવા સવાલો ઉભા થાય છે.

કિમીહ: કિંકાયઃ સખલુકિમુપાય: ત્રિભુવનં |

કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ ||

અતર્કૈશ્વર્યે ત્વય્યનવસર દુહ્થીઃ હતધિયઃ |

કુતર્કોઽયં કાંશ્ચિત્ મુખરયતિ મોહાય જગતઃ ||

(શ્રી શિવમહિમ્ન સ્તોત્ર)

પરમાત્માનું ઐશ્વર્ય અતકર્ય છે. તેના સંબંધમાં તર્ક લડાવવા બેકાર છે. નાહક મગજનું દહીં કરવું નહીં. મૂર્ખાઓને જવાબો આપવાનું કામ પંડિતોનું છે, જ્ઞાનીઓનું નહીં. જ્ઞાનીઓ મૌન સેવે.

ભગવાન શંકરે કહ્યું કે -

રામુ અતકર્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહુ ભવાની.

(રામ ચરિત માનસ)