વળી જે (પુરુષ) શત્રુમાં અને મિત્રમાં તથા માન અને અપમાનમાં સમાન (રહે છે) તથા ટાઢતડકા અને સુખદુઃખાદિ દ્વંદ્વોમાં સમાન (રહે છે) (તથા) સર્વત્ર આસક્તિરહિત (છે) (૧૮)
ભાવાર્થ:
સમ: શત્રૌ ચ મિત્રે ચ
જગતના સામાન્ય માનવી ઉપર દ્વંદ્વોની, શત્રુ - મિત્ર, માન - અપમાન, શીત - ઉષ્ણ, સુખ - દુઃખ, નિંદા - સ્તુતિની આણ વર્તે છે. ભક્ત આકર્ષણ - વિકર્ષણ કે અપકર્ષણનાં આંધળા બળોથી ઘસડાતો નથી. શત્રુ - મિત્ર વગેરે પ્રારબ્ધવશાત થાય છે. વૃક્ષ ઘા કરનાર અને પાણી સીંચનાર બંનેની સાથે સમભાવ રાખે છે.
રામાયણમાં સુગ્રીવ બોલે છે.
શત્રુમિત્ર સુખદુઃખ જગમાંહી, માયાકૃત પરમારથ નાહી
સપને જેહિ સત હોઈ લરાઈ, જાગે સમુજત મન સકુચાઈ
બાલી પરમહિત જાસુ પ્રસાદા, મિલેહું રામ તુમ્હ સમાન બિષાદા
(કિષ્કિન્ધા કાંડ - ૬)
માનાપમાનયો સમ:
અમાનિત્વમ્ (ગીતા - ૧૩/૮)
જેને માનની લાલસા નથી તેનું અપમાન કરનાર કોઈ જન્મ્યો નથી. જેને ફૂલનો હાર પહેરવો છે તેને ખાસડાનો હાર પહેરવાની તૈયારી રાખવી પડે.
શીતોષ્ણ સુખદુઃખેષુ
ભક્તને પણ ઠંડી તો લાગે - ગરમી તો લાગે. તેને સુખદુઃખ તો થાય. પરંતુ આ દ્વંદ્વો તે આગમાપાયિન: અનિત્યા: (ગીતા - ૨/૧૪) આવનજાવન સ્વભાવવાળા અને અનિત્ય છે. એમ સમજીને તે ઉપેક્ષા તથા તિતિક્ષાવૃત્તિથી ભગવદ્પરાયણ રહીને તે ભોગવી લે.
સંગવિવર્જિત:
તમામ ભૌક્તિક સુખોમાં આસક્તિરહિત.
યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ( ગીતા - ૨/૫૭)