Hindu gods Lord Krishna and Lord Vishnu depicted in traditional attire, with Krishna playing a flute and Vishnu wearing jewelry and a crown, set in a cloudy background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

અર્જુન ઉવાચ । - અર્જુન બોલ્યો :-
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન ।
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ॥ ૧॥

જ્યાયસી ચેત્ કર્મણ: તે મતા બુદ્ધિ: જનાર્દન

તત્ કિમ્ કર્મણિ ઘોરે મામ્ નિયોજયસિ કેશવ

તત્ - તો પછી

કેશવ - હે કેશવ !

મામ્ - મને

ઘોરે - (યુદ્ધરૂપ) ભયંકર

કર્મણિ - કર્મમાં

કિમ્ - શા માટે (આપ)

નિયોજયસિ - યોજો છો?

જનાર્દન - હે જનાર્દન !

ચેત્ - જો

કર્મણ: - કર્મ કરતા

બુદ્ધિ: - જ્ઞાન

તે - આપને

જ્યાયસી - શ્રેષ્ઠ

મતા - માન્ય છે.

હે જનાર્દન ! કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે સારું માન્યું છે, તો હે કેશવ ! તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? (૧)

ભાવાર્થ

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સાંખ્યયોગની (એટલે કે જ્ઞાનયોગની) વાત કહી. ભગવાને કહ્યું કે જે (આત્મજ્ઞાન) પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તો સદા પ્રાપ્ત જ છે, જે જાણવા યોગ્ય છે તે તો સમીપથી પણ વધારે સમીપ છે, નિકટથી પણ વધારે નિકટતમ છે, જેને આપણે કદાપિ ખોયું જ નથી. કારણ કે તે તો આપણું પોતાનું સ્વરૂપ જ છે.

એટલે હવે અર્જુન પૂછે છે કે જો જે જાણવા યોગ્ય છે, જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જો ખરેખર મળી જ ગયેલું છે અને જો જીવનની મુક્તિ અને જીવનનો આનંદ માત્ર જ્ઞાન ઉપર જ નિર્ભર છે તો પછી નાહકનો મને આ ઘોર હિંસાયુક્ત યુદ્ધ કાજે શા માટે દબાણ કરો છો?