શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।
લોકસઙ્ગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ॥ ૨૦॥

કર્મણા એવ હિ સંસિદ્ધિમ્ આસ્થિતા: જનકાદયઃ

લોક સંગ્રહમ્ એવ અપિ સમ્પશ્યન્ કર્તુમ્ અર્હસિ

આસ્થિતા: - પામ્યા છે.

લોકસંગ્રહમ્ - લોકકલ્યાણને

સમ્પશ્યન્ - જોતા

અપિ - પણ (તું)

કર્તુમ્ - કર્મ કરવાને

એવ - જ

અર્હસિ - યોગ્ય છે.

હિ - ખરેખર

જનકાદયઃ - જનક વગેરે જ્ઞાનીઓ પણ (આસક્તિરહિત)

કર્મણા - કર્મ વડે

એવ - જ

સંસિદ્ધિમ્ - પરમ સિદ્ધિને

જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે; (વળી) લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે. (૨૦)

ભાવાર્થ

જનક રાજાની માફક મમતા, આસક્તિ અને કામનાઓ ત્યાગ કરીને માત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે જ કર્મ કરનાર અશ્વપતિ, ઇક્ષ્વાકુ, પ્રહલાદ, અંબરિષ વગેરે કર્મયોગ દ્વારા સિદ્ધિને પામ્યા છે. નિષ્કામ કર્મો દ્વારા જેમના અંતઃકરણ શુદ્ધ થઇ જાય છે તેમને પરમાત્માની કૃપાથી તત્ત્વજ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે (ગીતા - ૪/૩૮) તથા કર્મયોગયુક્ત મુનિ તત્કાલ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (જુઓ ગીતા - ૫/૬)

સમસ્ત પ્રાણીઓના ભરણપોષણ અને રક્ષણની જવાબદારી મનુષ્ય ઉપર છે. તેથી પોતાના વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર કર્તવ્ય - કર્મોનું સારી રીતે આચરણ કરીને જે બીજા લોકોને પોતાના આદર્શ દ્વારા દુર્ગુણ, દુરાચારથી હટાવીને સ્વધર્મમાં લગાડે તેને લોકસંગ્રહ કહેવાય.

તેથી લોકસંગ્રહ માટે પણ માણસે સતત કર્તવ્ય કર્મ કરતા જ રહેવું જોઈએ.