એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ ત્યજી દઈને રથની (પાછલી) બેઠક ઉપર બેસી ગયો. (૪૭)
ભાવાર્થ
સંજયે ધૃતરાષ્ટ્રને આ બધું વૃતાંત કહીને જણાવ્યું કે:
રણભૂમિમાં આવું બોલીને શોકથી વ્યાકુળ ચિત્ત થયેલો અર્જુન ધનુષ્યબાણ છોડીને રથમાં બેસી ગયો. અર્થાત યુદ્ધ કરવાનો તેનો સંપૂર્ણ ઉત્સાહ નષ્ટ થઇ ગયો. એની વીરવૃત્તિ ખલાસ થઇ ગઈ. એનું હૃદય દુઃખથી ફાટી ગયું અને તે પરિપૂર્ણ રીતે વિષાદગ્રસ્ત થઇ ગયો.
લોક તથા શાસ્ત્રના નિયમોનું અતિક્રમણ કરીને અર્જુન કૃપાપરવશ થઇ ગયો છે અને તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. આ ભક્ત અર્જુનનું આર્તપણું દર્શાવે છે.
સંસારની અટપટી ઘટમાળથી માણસ ખિન્ન થાય તે 'વિષાદ' કહેવાય. પરંતુ તે વિષાદની પરમાત્મા સમક્ષ રજૂઆત થાય તો તે 'વિષાદયોગ' કહેવાય અને તે 'પ્રસાદયોગ' અર્થાત 'કૃપાયોગ' બની જાય.
ગીતાનો પહેલો અધ્યાય 'વિષાદયોગ' છે જયારે છેલ્લા ૧૮માં અધ્યાયમાં તે 'પ્રસાદયોગ' માં પરિણીત થતા અર્જુન બોલે છે કે -