શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

તતઃ શંખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ॥ ૧૩॥

તતઃ શંખા: ચ ભેર્ય: ચ પણવાનકગોમુખાઃ

સહસા એવ અભ્યહન્યન્ત સ: શબ્દ: તુમુલ: અભવત્

સહસા - એકસાથે

એવ - જ

અભ્યહન્યન્ત - વાગી ઉઠ્યા

સ: - તે

શબ્દ: - અવાજ

તુમુલ: - ઘણો ભયંકર

અભવત્ - થયો

તતઃ - તે પછી

શંખા: - શંખો

ચ - અને

ભેર્ય: - નગારા

ચ - તથા

પણવાનકગોમુખાઃ - ઢોલ, મૃદંગ, અને રણશિંગા વગેરે વાજાઓ

પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા તુરત જ વાગવા લાગ્યા; (જેથી) તે અવાજ ઘણો મોટો થયો. (૧૩)

ભાવાર્થ

આ શ્લોકમાં સંજય કૌરવસૈન્યના ઉત્સાહનું વર્ણન કરતા કહે છે કે -

ભીષ્મપિતામહના શંખનો ધ્વનિ સાંભળીને દ્રોણાચાર્ય વગેરે કૌરવસેનાના યોદ્ધાઓમાં યુદ્ધ માટે ઉત્સાહ ઉત્પન્ન થયો અને બધા પોતાના શંખો, ઢોલમૃદંગ રણશિંગા વગેરે એકસાથે વગાડ્યા લાગ્યા. આ શંખ વગેરે વાજિંત્રોનો અવાજ ભયંકર થયો.

કૌરવોની સેનાએ આ પ્રકારના રણવાદ્યોનો પ્રચંડ ઘોષ કરીને એક રીતે પાંડવોને આહવાન કર્યું કે "અમે યુદ્ધ માટે તૈયાર છીએ, તમારામાં યુદ્ધ માટે અમારી સન્મુખ આવવાનું ધૈર્ય હોય તો આવી જાઓ." પાંડવોની તો પહેલેથી જ તૈયારી હતી. કૌરવોના સૈન્યના રણવાદ્યોનો ઘોષ સાંભળતા જ પાંડવોએ પણ એવો જ ઉત્તર આપ્યો તેનું વર્ણન શ્લોક ૧૪ થી ૧૯ સુધી વિસ્તારપૂર્વક સંજય કરે છે.