Srimad Bhagavad Gita Bhavarth - Karma Yog, Bhakti Yog, Gyan Yog - Shri Hirabhai Thakkar

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ॥ ૧૧॥

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમ્ અવસ્થિતાઃ

ભીષ્મમ્ એવ અભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ

યથાભાગમ્ - પોતપોતાની જગ્યાએ

અવસ્થિતાઃ - ઉભા રહીને

ભીષ્મમ્ - ભીષ્મ પિતામહની

એવ - જ

અભિરક્ષન્તુ - બધી બાજુથી રક્ષા કરો.

ચ - માટે

સર્વેષુ અયનેષુ - સઘળા મોરચાઓ ઉપર

ભવન્તઃ - તમે

સર્વ - બધા

એવ - જ

હિ - ખરેખર

(હવે વ્યૂહના) સર્વ પ્રવેશમાર્ગોમાં વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધાય ભીષ્મપિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરો. (૧૧)

ભાવાર્થ

હવે આ શ્લોકમાં દુર્યોધન, દ્રોણાચાર્ય વગેરેને તેમના કર્તવ્યનું સૂચન કરતા કહે છે કે -

તમે બધા વ્યૂહરચનામાં પેસવાના તમામ મોરચાઓ ઉપર (સર્વેષુ અયનેષુ) પોતપોતાના સ્થાનમાં ઉભા રહીને ભીષ્મ પિતામહનું ચારે બાજુથી રક્ષણ કરો. આપણી કૌરવસેનાના નાયક ભીષ્મપિતામહ છે. યુદ્ધમાં આપણો વિજય ભીષ્મને આધીન છે. માટે આપ સર્વે વ્યૂહરચનામાં પેસવાના સર્વ માર્ગોમાં પોતપોતાના સ્થાનમાં સ્થિરતાથી ઉભા રહી સર્વ દિશાઓથી સર્વ પ્રકારે સાવધાનતાપૂર્વક ભીષ્મપિતામહનું રક્ષણ કરો.