Hindu deity Krishna with a woman, both in traditional attire, set against a cloudy sky background.

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ।
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ॥ ૩૨॥

ન કાઙ્ક્ષે વિજયમ્ કૃષ્ણ ન ચ રાજ્યમ્ સુખાનિ ચ

કિમ્ ન: રાજ્યેન ગોવિન્દ કિમ્ ભોગૈ: જીવિતેન વા

ગોવિન્દ - હે ગોવિંદ !

ન: - અમને (સગા વગર)

રાજ્યેન - રાજ્ય વડે

કિમ્ - શું (સુખ થવાનું છે?)

વા - અથવા

ભોગૈ: - ભોગો વડે (કે)

જીવિતેન - જીવન વડે (પણ)

કિમ્ - શું સુખ મળશે ?

કૃષ્ણ - હે કૃષ્ણ ! (હું)

વિજયમ્ - વિજય

ન કાઙ્ક્ષે - ઈચ્છતો નથી

ચ - તેમ જ

રાજ્યમ્ - રાજ્ય

ચ - તથા

સુખાનિ - સુખો (પણ)

ન કાઙ્ક્ષે - ઈચ્છતો નથી; (કેમ કે)

હે કૃષ્ણ ! વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ ! અમારે રાજ્યથી શું ફળ છે? અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? (૩૨)

ભાવાર્થ

અર્જુન કહે છે કે મને આ યુદ્ધમાં સ્વજનોના નાશથી પ્રાપ્ત થનારા વિજયની તથા એવા વિજયથી પ્રાપ્ત થનારા રાજ્ય કે વિષયસુખની ઈચ્છા નથી. અજ્ઞાનવશ થઈને પરિવારના મોહના કારણે અર્જુન કહે છે કે મારે રાજ્યનું શું પ્રયોજન છે, સુખનું શું પ્રયોજન છે અને જીવતરનું શું પ્રયોજન છે? આ સમયે એના મનમાં આ વાત આવી ગઈ કે હું હવે જીવતો રહીને પણ શું કરું? (કિં જીવિતેન વા) મારા જીવતા રહેવાથી "પણ હવે શું લાભ છે?" એવા પ્રકારની ખેદજનક વિચાર પરંપરાના અંતમાં તેને ઝટ મરી જવાનું યોગ્ય લાગે છે. આવી ખેદ વિષાદમયી વિચારની પરંપરા કેટલી ઘાતક છે તે અહીં સ્પષ્ટ થાય છે.