હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેના તમે જુઓ. (૩)
ભાવાર્થ
હે દ્રોણાચાર્યજી ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની સેનાનો વ્યૂહ રચેલો છે તે તમે જુઓ.
આ વાક્ય બોલવામાં ગર્ભિત રીતે કપટી કૂટનીતિજ્ઞ દુર્યોધનના મનનો દ્વેષ તરી આવે છે. દ્રોણાચાર્યને ક્રોધાયમાન કરી વિશેષ ઉત્તેજિત કરવાના હેતુથી દુર્યોધને ધૃષ્ટદ્યુમ્નને "દ્રુપદપુત્ર" કહી દ્રોણાચાર્યના હૃદયમાં દ્રુપદરાજા સાથે પૂર્વવૈરની સ્મૃતિ જાગ્રત કરી. વળી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યના વધ નિમિત્તે જ જન્મ્યો હતો એ સારી પેઠે જાણવા છતાં દ્રોણાચાર્યે ધૃષ્ટદ્યુમ્નને શિષ્ય તરીકે ધનુર્વિદ્યા શીખવી હતી અને તેથી વ્યંગમાં દુર્યોધન સૂચન કરે છે કે આપના જેવા મહાનુભાવવાળા આત્માઓની અદૂરદર્શિતા (મૂઢતા) જ અમારા નાશનું કારણ થઇ પડી છે.