અહો! ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ; કારણ કે રાજ્યસુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. (૪૫)
ભાવાર્થ
મોહગ્રસ્ત હોવાથી વિષાદગ્રસ્ત થયેલો અર્જુન હવે અત્યંત ભગ્નહૃદય થઈને બળાપો કરે છે કે અરેરે ! અમે આ બહુ જ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ (વ્યવસિતા:), એટલે કે રાજ્યસુખના લોભે સ્વજનોને હણવા અમે તત્પર થયા છીએ.
અરે ભગવાન ! આ કેટલા બધા ખેદની વાત છે કે એક ક્ષણભંગુર રાજ્યસુખના લોભે અમે આ યુદ્ધભૂમિમાં પિતા, પુત્ર, ભાઈઓ વગેરે અનેક સ્વજનોને મારી નાખવા અને તે પ્રકારે મહાપાપ કરવા અહીં આવ્યા છીએ. શ્રુતિસ્મૃતિ, ધર્મશાસ્ત્ર વિધિનિષેધને જાણનારા અમારા જેવા વિવેકી પુરુષોને આવું ઘોર પાપ કરવું સર્વથા ઉચિત નથી.