Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય 10

વિભૂતિયોગ

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ ।
અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥૨॥

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવમ્ ન મહર્ષયઃ

અહમ્ આદિ: હિ દેવાનામ્ મહર્ષીણામ્ ચ સર્વશઃ

હે અર્જુન,

હિ - કેમ કે

અહમ્ - હું

સર્વશઃ - સઘળા

દેવાનામ્ - દેવોનું

ચ - તથા

મહર્ષીણામ્ - મહર્ષિઓનું

આદિ - આદિ (કારણ છું)

સુરગણાઃ - દેવતાલોક

મે - મારા

પ્રભવમ્ - પ્રભાવને, ઉત્ત્પતિને અર્થાત વિભૂતિ સહિત લીલાથી પ્રગટરૂપને

મહર્ષયઃ - મહર્ષિઓ (પણ)

ન વિદુઃ - જાણતા નથી

મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી; કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું. (૨)

ભાવાર્થ:

દેવો, મહર્ષિઓ વગેરે કોઈ પણ મારા પ્રભાવને (મારી ઉત્પત્તિને) જાણતા નથી, કારણ કે હું તે બધાની ઉત્પત્તિની પહેલાનો છું. ઝાડનું થડિયું - ડાળાં - પાંખડાં - ફૂલ - પાન - ફળ વગેરે જયારે ઉત્પન્ન થયા તે પહેલાનો તેમનું બીજ (ગોટલો) તો હતો જ. જેનું આદિ (ઉત્ત્પત્તિ) તેમના કોઈ ફળ - ફૂલ - પાંદડા - ડાળાં જાણી શકે જ નહીં. પરમાત્મા તો જગતનો મૂળ આધાર છે જે બધાયની પહેલાના છે. ભગવાન કહે છે.

બીજં માં સર્વભૂતાનામ્ વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।

(શ્રીમદ્દ ભગવદ્ ગીતા - ૭/૧૦)

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।

ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥

(શ્રીમદ્દ ભગવદ્ ગીતા - ૭/૨૬)

ભૂતકાળના, વર્તમાનકાળના તથા ભવિષ્યકાળના (બધા) ભૂતો (becomings) ને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી.

આ પરમાત્માનું સ્વયંનું એક માત્ર વક્તવ્ય છે, જે શ્રદ્ધા સિવાય બીજા કોઈ પણ પ્રમાણથી જાણવાનો કોઈ ઉપાય નથી.

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત

વેદપુરાણો પાર ન પામ્યા, એવા ઈશ અનંત

- એ છે નિરાકાર સાકાર તેનો કોઈ ન પામ્યા પાર

માનસ રામાયણમાં વાલ્મીકી મુનિ રામને કહે છે -

રામ સરૂપ તુમ્હાર, બચન અગોચર બુધ્ધિ પર

અવિગત અકથ અપાર નેતિ નેતિ નિત નિગમ કહ.

(શ્રીરામ ચરિત માનસ - અયોધ્યા કાંડ - દોહા ૧૨૬)

ચો.

જગુ પેખન તુમ્હ દેખ નિહારે, વિધિ હરિ શંભુ નચાવ નિહારે.

તેઉ ન જાનહિ મરમુ તુમ્હારા, ઔરુ તુમ્હહિ કો જાન નિહારા.

સોઈ જાનહિ જેહિ દેહુ જનાઈ, જાનત તુમ્હહિ તુમ્હઈ હોઈ જાઈ.

તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનત ભગત ભગત ઉર ચંદન.

ભગવાન શંકર પાર્વતીને સમજાવે છે કે -

રામ (પરમાત્મા) અતર્કય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહુ ભવાની

વેદો, ઉપનિષદો અને આર્ષદ્રષ્ટા ઋષિઓએ અનેક યુક્તિઓ કરીને અને પુરાણો તથા શાસ્ત્રોમાં સાધુ સંતોએ અનેક જાતના દ્રષ્ટાંતો - દાખલાઓ - ઉપમાઓ - અલંકારો - રૂપકો - પ્રતીકો વગેરે આપીને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા અનેક પ્રકારના પ્રયાસ કરવા કૃપા કરી છે. માટે તેમની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કોઈ પણ પ્રકારના તર્ક વિતર્કમાં પડયા સિવાય માણસ પોતાની તમામ ઇન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્તને સ્થિર કરીને અહંકાર છોડીને જાણવા પ્રયત્ન કરે તો તેને પરમાત્માનું સ્વરૂપ 'બહૂનામ્ જન્મનામ્ અંતે' અનેક જન્મો પછી ભગવદ્દકૃપા થાય તો જ સમજાય.

પરમાત્માનું સ્વરૂપ બરાબર યથાર્થ (exact) રીતે સમજાવવા માટે કોઈ પણ દ્રષ્ટાંત, દાખલાઓ કે ઉપમા પૂરેપૂરી રીતે તો બંધબેસતું આવે જ નહીં. દરેક ઉપમા, દ્રષ્ટાંત અગર દાખલો કાંઈકને કાંઈક - થોડે ઘણે અંશે પણ ટૂંકો જ પડવાનો, કારણ કે પરમાત્મા અનંત છે તેને અંતવાળા દાખલા, દ્રષ્ટાંતો પરિપૂર્ણ રીતે ના સમજાવી શકે. પરમાત્મા અમાપ - unlimited છે, તેને કોઈ પણ ફૂટપટ્ટીનું માપ અગર ઉપમા બંધ બેસતા ના જ આવે. પરમાત્માના મુકાબલામાં પરમાત્મા જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. છતાં પણ ઘણા આશ્વર્યજનક સંકેતો દ્વારા મહાપુરુષો તેનું લક્ષ્ય કરાવે છે અને તેનું આશ્વર્યવત્ વર્ણન કરે છે, વાસ્તવમાં પરમાત્મા વાણીનો વિષય જ નહીં હોવાથી સ્પષ્ટ શબ્દોમાં વાણી દ્વારા તેનું વર્ણન થઇ શકતું નથી.

Unlimited Brahman cannot be described by limited words.

To define God is to defy God.

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમ્, આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ ।

આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ, શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨/૨૯)

પરમાત્માને (બ્રહ્મને) મેં જોયો છે અને બ્રહ્મને હું રોકડો બતાવી શકું છું, તેવું કહેવાની કોઈની તાકાત નથી.

તસ્યામતં તસ્યમતં યસ્ય ન વેદ સ: |

અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનતામ્ || (કેન - ૨/૩)

જે કહે છે કે મેં પરમાત્માને (બ્રહ્મને) જાણ્યો છે તે જૂઠો છે. તેણે બ્રહ્મને જાણ્યો જ નથી. જેણે બ્રહ્મને ખરેખર જાણ્યો છે તે તો "મેં બ્રહ્મને જાણ્યો છે." તેવું બોલી જ શકતો નથી. મૂંગો જ થઇ જાય છે.

યતો વાંચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ

ભર્તૃહરિએ પણ આ વાતની કબૂલાત કરી છે

યદા કિંચિતજ્ઞોહં દ્વિપ ઇવ મદાન્ધ: સમભવમ

તદા સર્વજ્ઞોઽસ્મી ઇતિ અભવત્ અવલિપ્તં મમ મનઃ।

યદા કિંચિત્ કિંચિત્ બુધજન સકાશાત્ અવગતમ

તદા મૂર્ખોઽસ્મી ઈતિ જ્વર ઇવ મદો મે વ્યપગતઃ॥

(વૈરાગ્ય શતક)

જયારે હું થોડુંક થોડુંક જાણતો થયો ત્યારે "હું સર્વજ્ઞ છું" એવો અહંકાર મને પેદા થયો, પરંતુ જયારે હું જ્ઞાની પુરુષોના ચરણમાં બેસીને કાંઈક સમજવા માંડયો ત્યારે મને ખબર પડી કે હું મહામૂર્ખ છું અને તે જ ક્ષણે મારો અહંકાર, જેમ પરસેવો વળીને તાવ ઉતરી જાય તેમ ઉતરી ગયો.

આ શ્લોકમાં ભગવાન કહે છે કે "મે પ્રભવમ્ ન વિદુઃ" મારી ઉત્પત્તિ કોઈ જ જાણતું નથી. માછલીને સમુદ્રની ઉત્પત્તિની શી ખબર પડે? મોજાને સમુદ્રની ઉત્પત્તિની શી ખબર પડે? સાગર ખુદ પોતે ઉઠીને કહે કે હું કેવડો છું તો તેનું વક્તવ્ય બરાબર, પરંતુ સાગરની મોટામાં મોટી માછલી જો સાગરનું માપ બતાવે તો પણ તે અધૂરું જ. ગમે તેટલા વેદશાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરીને પણ બ્રહ્મનું પૂરેપૂરું વર્ણન કરી શકો નહીં. વેદોના ગમે તેટલા અર્થ કરો તો પણ અધૂરા જ રહે.