Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥૨૦॥

અહમ્ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ

અહમ્ આદિ: ચ મધ્યમ્ ચ ભૂતાનામ્ અન્ત: એવ ચ

ભૂતાનામ્ - સઘળા પ્રાણીઓનો

આદિ: - આદિ (ઉત્પત્તિ)

મધ્યમ્ - મધ્ય સ્થિતિ

ચ - અને

અન્ત: - અંત (લય)

ચ - પણ

એવ - છું

ગુડાકેશ - હે નિદ્રાજિત અર્જુન

અહમ્ - હું

આત્મા - આત્મારૂપે

સર્વભૂતાશયસ્થિતઃ - સર્વે ભૂતોના હૃદયમાં રહેલો છું.

ચ - તથા

અહમ્ - હું

હે અર્જુન ! હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. અને ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. (૨૦)

ભાવાર્થ:

ભગવાન કહે છે -

(૧) હું તમામ ભૂતો (Becomings) ના હૃદયમાં સ્થિત બધાંયનો આત્મા છું. તથા

(૨) સંપૂર્ણ ભૂતોનો આદિ - મધ્ય - અંત પણ હું છું.

આ બે બાબતોમાં જ ભગવાનને જે કહેવું છે તે બધું આવી ગયું.

(૧) હું તમામ ભૂતો (Becomings), તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિઓમાં અવ્યક્તરૂપે બિરાજમાન છું. તમામ અનાત્મ તત્ત્વોનો આત્મા હું છું. તમામ પ્રાકૃતિક પદાર્થ, પ્રાણી, વસ્તુ, વ્યક્તિમાં પુરુષરૂપે હું છું. તમામ ક્ષરમાં અક્ષર રૂપે, ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે, મૂર્તમાં અમૂર્ત રૂપે, જડમાં ચેતન રૂપે, વ્યયમાં અવ્યય રૂપે, દેહમાં દેહી રૂપે, સ્થૂળમાં સૂક્ષ્મ રૂપે, સ્થાવરમાં જંગમ રૂપે, દ્રશ્યમાં અદૃશ્યરૂપે, સાકરમાં નિરાકાર રૂપે, પ્રગટમાં અપ્રગટ રૂપે, વ્યક્તમાં અવ્યક્ત રૂપે, વિકારીમાં અવિકારી રૂપે, ચિન્તયમાં અચિન્ત્ય રૂપે, વચનીયમાં અનિર્વચનીય રૂપે, ચળમાં અચળ રૂપે, છેદ્યમાં અચ્છેદ્ય રૂપે, દાહ્યમાં અદાહ્ય રૂપે, કલેદ્યમાં અકલેદ્ય રૂપે, શોષ્યમાં અશોષ્ય રૂપે, અનિત્યમાં નિત્ય રૂપે, ક્ષણભંગુરમાં સનાતન રૂપે, મરચામાં તીખાશરૂપે, ગોળમાં ગળપણ રૂપે, આંબલીમાં ખટાશ રૂપે, મીઠામાં ખારાશ રૂપે, ઝેરમાં કડવાશ રૂપે, અને કાર્યમાં કારણ રૂપે, ઘડામાં માટી રૂપે, બંગડીમાં સોના રૂપે, ટેબલમાં લાકડાં રૂપે, લાકડામાં અગ્નિ રૂપે, અગ્નિમાં દાહકતા રૂપે, પાણીમાં રસ રૂપે, પૃથ્વીમાં ગંધ રૂપે, વાયુમાં સ્પર્શ રૂપે, આકાશમાં શબ્દ રૂપે - હું સમગ્ર રૂપે તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ બધાયમાં બધાયના આત્મારૂપે સમગ્ર વિશ્વમાં અણુએ અણુમાં વ્યાપ્ત છું. મારો X-Ray કોઈપણ વૈજ્ઞાનિક લઇ શકે નહીં. હું ઇન્દ્રિયાતીત છું તેથી

  • આંખ મને જોઈ શકે નહીં,

  • કાન મને સાંભળી શકે નહીં,

  • જીભ મને ચાખી શકે નહીં,

  • નાક મને સૂંઘી શકે નહીં,

  • ચામડી મને સ્પર્શ કરી શકે નહીં.

પરંતુ મારી સત્તાથી

  • આંખ પદાર્થને જોઈ શકે - મને નહીં,

  • કાન પદાર્થને સાંભળી શકે, મને નહીં.

  • જીભ પદાર્થને ચાખી શકે, મને નહીં.

  • નાક પદાર્થને સૂંઘી શકે, મને નહીં.

  • ચામડી પદાર્થને સ્પર્શ કરી શકે, મને નહીં.

ઉપનિષદોએ આ છે કે વાતની ચોખવટ કરતા કહ્યું છે કે -

પરાંચિ ખાની વ્યતૃણત્ સ્વયંભૂ: તસ્માત્ પરાંપશ્યતિ નાન્તરાત્મન્ ।

કશ્ચિદ્ ઘીરઃ પ્રતિગાત્માનમૈક્ષત્ આવૃત્તચક્ષુ: અમૃતત્વમિચ્છન્ ॥

(કઠોપનિષદ - ૨/૧)

પાંચેય જ્ઞાનેન્દ્રિયો બહિર્મુખી છે (તેના દરવાજા બહારની બાજુ ઉઘડે છે) તેથી તે બહારના પદાર્થને જોઈ શકે છે, જાણી શકે છે, પરંતુ અંદર પુરુષરૂપે બેઠેલા આત્માને જોઈ જાણી શકતી નથી. ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો જ પ્રત્યગાત્માની અનુભૂતિ થઇ શકે.

ભગવાન શંકરે માનસ રામાયણમાં જગદંબા પાર્વતીને પોતાનો સ્પષ્ટ મત આપતા કહ્યું કે -

રામ (પરમાત્મા) અતકર્ય બુદ્ધિ મન બાની | મત હમાર અસ સુનહુ ભવાની ||

(બાલકાંડ - ૧૨૦ (ઘ)/૪)

અહીં આ શ્લોક ૨૦માં ભગવાન કહે છે - હું દરેકના હૃદયમાં સ્થિત આત્મા છું. આ પહેલું કિંમતી વક્તવ્ય છે, જેમ પરમાત્માના અસ્તિત્વની પૂરી વાત આવી ગઈ. હૃદયનો એટલે કે ફેફસાનો X-Ray ફોટો લઈ શકાય પરંતુ પરમાત્મા દરેકના હૃદયમાં એટલે કે (ફેફસામાં નહીં) કેન્દ્રમાં છે. તેનો X-ray કે Photo લેવાય નહીં. હૃદય એટલે આત્મા. દરેકનું શરીર અલગ અલગ છે, પરંતુ દરેકનો આત્મા ચૈતન્ય એક જ છે. વીજળીના પાંચસો ગોળા(બલ્બ) હોય અને તે તમામ ગોળાઓના આકાર, રૂપ, રંગ, વોલ્ટેજ, નામ વગેરે અલગ અલગ હોય પરંતુ તેમાં વહેતી ઈલેક્ટ્રીસીટી (વીજળી) એક જ હોય. એક ગોળો ઉડી જાય તેથી કરીને બધા ગોળા ઉડી ના જાય. એક માણસ મરી જાય (એટલે કે તેના શરીરમાં પ્રગટ ચૈતન્ય અપ્રગટ થઇ જાય, manifestation stop થઇ જાય) તેથી કરીને બીજા માણસો મરી ના જાય. દેહો અનેક અનેક છે, પરંતુ તે સર્વમાં વહેતુ રહેલું ચૈતન્ય આત્મા (જીવન) એક જ છે. દેહ અલગ અલગ હોય તેથી તેમાં વહેતી ઉર્જા (આત્મા) અલગ અલગ ના હોય,

ગોળા અલગ અલગ હોય પરંતુ તેમાં વહેતી ઉર્જા (ઈલેક્ટ્રીસીટી - વીજળી) અલગ અલગ ના હોય. એ તો બધાય ગોળાઓનું ફિટિંગ ખોલીને બતાવીએ તો જ સમજાય. દેહ અલગ માટે આત્મા અલગ - એ માન્યતા તદ્દન ગલત, જૂઠી છે. ગોળા અલગ અલગ, પરંતુ તેમાં દોડતી વહેતી ઉર્જા (energy) બંધ થઇ જાય એટલે કે ઇલેક્ટ્રિક પાવર બંધ થઇ જાય તો બધાય ગોળ બંધ થઇ જાય. પરમાત્મા ઇલેક્ટ્રિક પાવર હાઉસ છે. Self generating power house છે તેનો કોઈ generator નથી. તેથી તે કદાપિ બંધ થાય જ નહિ. પરમાત્મા તો ચૈતન્યનો મહાસાગર (Reservoir of all energy) ચૈતન્યનો ઓઘ છે. પરમાત્મા પોતે તમામ જનરેટરોનો પણ જનરેટર (Cause of all causes - સર્વકારણ કારણ) છે.

અહીં આ શ્લોક ૨૦માં ભગવાન બીજી વાત કહે છે કે -

અહમ્ આદિ ચ મધ્યમ્ ચ ભૂતાનામ્ અન્ત: એવ ચ |

હું જ બધાનો આદિ, મધ્ય અને અંત છું. મારો કોઈ આદિ, મધ્ય કે અંત નથી. હું અનાદિ છું - અનંત છું.

આપણા બધાના શરીર બલ્બ જેવા છે. જે પ્રકૃતિના કારખાનામાં તૈયાર થાય છે. manufacture થાય છે. અને સમય આવ્યે ઉડી જાય છે. ફૂટી જાય છે. પરંતુ તેમાં વહેતી ઉર્જા (આત્મા) ચૈતન્ય કદી જન્મતું નથી, મરતું નથી. બલ્બ અનેક છે, ઉર્જા એક છે. દેહ અનેક છે. આત્મા એક છે. બહારથી ભેદ છે. અંદરથી અભેદ છે. બહાર ભિન્નતાઓ છે, અંદર અભિન્નતા છે. બહાર દ્વૈત છે, અનેકત્વ છે પરંતુ અંદર એક છે, અદ્વૈત છે. જે બહારથી (દેહાધ્યાસથી) જીવે છે તે કદાપિ અનુભવ નહીં કરી શકે કે જયારે હું બીજાને દુઃખી કરું છે ત્યારે હું મારી જાતને દુઃખ પહોચાડું છું; જયારે હું બીજાનું અહિત કરું છું ત્યારે હું મારી જાતનું પહેલું અહિત કરું છું. પરંતુ જે અંદરથી (આત્માથી) જીવે છે, તેને તત્ક્ષણ દેખાશે કે ભલે હું બીજાનું અહિત કરું છતાં હું મારુ જ મારી જાતે અહિત કરી રહ્યો છું. મહાવીર, બુદ્ધ, જિસસમાં જે કરુણા છલકાય છે તેનું મુખ્ય કારણ આ સમજણ છે કે મારાથી અતિરિક્ત બીજું કોઈ છે જ નહીં.

સંપૂર્ણ ભૂતોનો આદિ, મધ્ય, અંત હું છું. એવું ભગવાનનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ સમસ્ત ચીજો એક પરમાત્મામાં જ એક્ઠી છે. પાપ - પુણ્ય, શુભ - અશુભ, બુરાઈ - ભલાઈ, સ્વર્ગ - નર્ક, જ્ઞાન - અજ્ઞાન, પ્રકાશ - અંધકાર, શુદ્ધ - અશુદ્ધ બધું જ પરમાત્મા છે.

આપણે એવું સમજીએ છીએ કે, જ્યાં પુણ્ય, શુભ, ભલાઈ, સ્વર્ગ, જ્ઞાન, પ્રકાશ, શુદ્ધિ હોય ત્યાં પરમાત્મા છે અને જ્યાં પાપ, અશુભ, બુરાઈ, નરક, અજ્ઞાન, અંધકાર, અશુદ્ધિ હોય ત્યાં પરમાત્મા નથી. આ રીતે આપણે સમગ્ર અસ્તિત્વને (Total existenceને) બે ટુકડાઓમાં વિભાજન કરીને જોઈએ છીએ. એટલા માટે કેટલાક ધર્મોને શેતાન નિર્મિત કરવો પડયો. આવો વિચાર કમજોર છે. અને આવો પરમાત્મા પણ - આવા વિચારનો પરમાત્મા પણ - અધૂરો કહેવાય. કારણકે બુરાઈને હોવાપણા માટે પણ પરમાત્માનો સહારો જોઈએ. બુરાઈ નર્ક પણ જો હોઈ શકે તો પરમાત્માને સહારે જ હોઈ શકે. કારણકે તે પણ અસ્તિત્વનો (પરમાત્માનો) એક હિસ્સો છે. હિન્દુ ચિંતન શેતાન જેવી કોઈ અલગ વ્યવસ્થાનો સ્વીકાર નથી કરતું. શેતાનનું અસ્તિત્વ પણ પરમાત્માને લીધે જ ટકી શકે. પ્રકાશ અને અંધકાર, બુરાઈ અને ભલાઈ અલગ અલગ નથી. બધું જ એક અસ્તિત્વ (પરમાત્મા)ના હિસ્સા છે. Light means the minimum of Darkness and Darkness means the minimum of light. Minimum bad means good and minimum good means bad. અત્યંત ભલા માણસમાં જરાક તો બુરાઈ હોય જ અને અત્યંત બુરા માણસમાં જરાક તો ભલાઈ હોય જ. બંગલામાં રસોડું અને જાજરૂ એકી સાથે હોય તો જ સંપૂર્ણ બંગલો કહેવાય. શરીરમાં મુખારવિંદ અને ગુદા બંને એકી સાથે હોય તેને જ આખું શરીર કહેવાય. નરકમાં ભગવાન ના હોય તો નરકનું અસ્તિત્વ જ ના ટકે અને સાથે સાથે સ્વર્ગ પણ સ્વર્ગ ના રહે. અંધકાર સમૂળગો નષ્ટ થઇ જાય તો પછી પ્રકાશ, પ્રકાશ ના રહે. મરણની પ્રક્રિયા નષ્ટ થઇ જાય તો નવા જન્મ થતા રોકવા પડે. કુટુંબ નિયોજન કરવું પડે છે, કારણે આયુષ્ય લંબાયું છે.

મોજા પટકાય નહિ તો સમુદ્રમાં નવા મોજા પેદા થાય જ નહીં. વૈજ્ઞાનિકો કહે છે કે ગરમી અને ઠંડી એક જ ચીજનાં બે નામ છે. એ બે ચીજો નથી. પર્વત ઉપર ચઢનાર અને પર્વત ઉપરથી નીચે ઉતારનાર બે વ્યક્તિઓ પર્વતના મધ્ય ભાગમાં ભેગા થાય ત્યારે એક જ અસ્તિત્વમાં એકને ગરમી લાગે અને બીજાને ઠંડી લાગે. ગરમી અને ઠંડી એક જ અસ્તિત્વના બે હિસ્સા છે. બધા જ અનુભવો સાપેક્ષ છે, Relative છે. દરેક પદાર્થની Specific gravity માં Relative density છે:

માનસ રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે:

ભલેઉ પોંચ સબ બિધિ ઉપજાએ | ગની ગુન દોષ બેદ બિલગાએ ||

કહઈ બેદ ઈતિહાસ પુરાના | બિધિ પ્રપંચ ગુન અવગુન સાના ||

દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતી | સાધુ અસાધુ સુજાતિ કુજાતિ ||

દાનવ દેવ ઊંચ અરુ નીચુ | અમીઅ સજીવનું માહરું મીંચુ ||

માયા બ્રહ્મ જીવ જગદીશા | લચ્છી અલચ્છી રંક અવનીશા ||

કાશી મગ સુરસરી ક્રમનાસા | મરુ મારવ મહિદેવ ગવાસા ||

સરગ નરક અનુરાગ બિરાગા | નિગમાગમ ગુન દોષ બિભાગા ||

દો.

જડ ચેતન ગુન દોષમય | બિસ્વ કીન્હ કરતાર ||

સંત હંસ ગુન ગહહી પય | પરિહરિ બારી બિકાર ||

(બાલકાંડ - ૬)

એટલા માટે પરમાત્મા કહે છે કે પ્રારંભ પણ હું છું, મધ્ય પણ હું છું. અંત પણ હું છું. સંસાર પણ હું છું તો મોક્ષ પણ હું છું. શરીર પણ હું છું, આત્મા પણ હું જ છું. જગતમાં જે કાંઈ છે તે બધુ જ હું છું.

Not only does God exist, but whatever exists is God. હિન્દુ ચિંતન માટે અસ્તિત્વ અને પરમાત્મા પર્યાયવાચી છે. Synonyms છે. God means Total/Absolute existence. 'ઈશ્વર છે' માત્ર એટલું જ નહીં, જે કાંઈ છે તે ઈશ્વર છે. હોવું તે પણ ઈશ્વર છે. અસ્તિત્વ જ પરમાત્મા છે. સાધકને માટે તેનું બહુ જ ઘેરું મૂલ્ય છે. એનો અર્થ એ થયો કે જયારે પણ તમને ક્યાંય બુરાઈ દેખાય ત્યારે તમે પરમાત્માનું વિસ્મરણ નહિ કરતા, અગર તો ભયકંરમાં ભયકંર બુરાઇમાં પણ જો તમે પરમાત્માને દેખતા રહો તો તમારે માટે બુરાઈ પણ રૂપાંતરિત થઇ જશે.અગ્નિ પણ શીતળ થઇ જશે. તમારું કોઈ બૂરું કરે તેમાં પણ તમને તમારું ભલું થતું દેખાય. પછી તમને મૃત્યુમાં પણ નવીન જીવન દેખાશે.

ગરલ સુધા રિપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ અનલ સિતલાઇ.

ગરુડ સુમેરુ રેનુ સમ તાહી, રામ કૃપા કરી ચિત્તવા જાહી.

(સુંદરકાંડ - ૪/૨-૩)