Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ ।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ॥૧૪॥

સર્વમ્ એતત્ ઋતમ્ મન્યે યત્ મામ્ વદસિ કેશવ

ન હિ તે ભગવન્ વ્યક્તિમ્ વિદુ: દેવા ન દાનવાઃ

(માટે)

હિ - કેમ કે

ભગવન્ - હે ભગવાન

તે - આપણા

વ્યક્તિમ્ - પ્રભાવને

દેવા: - દેવો (કે)

દાનવાઃ - દાનવો કોઈ

ન વિદુ: - જાણતા નથી.

કેશવ - હે કેશવ

મામ્ - મને

યત્ - જે કાંઈ

વદસિ - આપ કહો છો

એતત્ - એ

સર્વમ્ - સઘળું (હું)

ઋતમ્ - સત્ય

મન્યે - માનું છું

હે કેશવ! આપ જે મને કહો છો, તે સર્વ હું સત્ય માનું છું; હે ભગવન્ ! આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી. (૧૪)

ભાવાર્થ:

અર્જુન કહે છે કે હું આપની વાત સાચી માનું છું, પરંતુ આપના લીલામય સ્વરૂપને દેવો તથા દાનવો પણ જાણી શકતા નથી, તો પછી હું તો કેવી રીતે જાણી શકું? હું માનું છું ખરો, પરંતુ હજુ પુરેપુરો હું આપને જાણી શક્યો નથી, જાણી શકતો નથી. આવી કબૂલાત કરવી તે અર્જુનની ઈમાનદારી છે. આપણે ઈશ્વરમાં માનીએ છીએ પરંતુ ખરેખર જાણતા નથી. જો ઈશ્વરને અનુભૂતિપૂર્વક જાણતા હોય તો તો માણસ કોઈની સાથે ઠગબાજી - લુચ્ચાઈ - કરચોરી - ભ્રષ્ટાચાર કરી શકે જ નહી. પરંતુ આપણે માનવાનો અર્થ જાણું છું એમ કહીએ છીએ તે આપણી બેઈમાની છે. અર્જુન ઈમાનદારીપૂર્વક કહે છે કે, ભગવન્! સંતો, શાસ્ત્રો અને આપના કહેવા ઉપરથી હું આપની મહાનતા માનું છું પરંતુ હજુ હું અનુભૂતિપૂર્વક જાણી શક્યો નથી.