હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ, સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને જળાશયોમાં સાગર હું છું.(૨૪)
ભાવાર્થ:
ભગવાન પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરતા કહે છે કે -
(૧૩) પુરોધસામ્ ચ મુખ્યમ્ મામ્ વિદ્ધિ બૃહસ્પતિમ્
પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. પુરોહિત એટલે માર્ગદર્શક. દરેક પરિવારમાં પુરોહિત હોય છે. બૃહસ્પતિ સ્પષ્ટ માર્ગદર્શક અને તેજસ્વી બુદ્ધિવાળા હતા. અંગીરા ઋષિના પુત્ર અને ઇન્દ્રના (દેવોના) ગુરુ તેમના ઉપદેશોની કથાઓ મહાભારત શાંતિપર્વમાં અને અનુશાસન પર્વમાં બહુ આવે છે.
(૧૪) સેનાનીનામ્ અહમ્ સ્કન્દઃ
સેનાપતિઓમાં હું સ્કન્દ (કાર્તિકેય - શંકરના પુત્ર) છું. કાર્તિકેય દેવોના સેનાપતિ હતા.
(૧૫) સરસામ્ અસ્મિ સાગરઃ
સરોવરોમા હું સાગર છું. સાગરં સાગરોપમ:| સાગર એ અનુપમ સરોવર છે. સાગરથી મોટું સરોવર છે જ નહીં, હોઈ શકે જ નહીં. માટે સરોવરોમાં સાગર પરમાત્માની વિભૂતિ ગણાય છે.