શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૧૦
વિભૂતિયોગ
મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥૯॥
મચ્ચિત્તા: મદ્ગતપ્રાણા: બોધયન્તઃ પરસ્પરમ્
કથયન્ત: ચ મામ્ નિત્યમ્ તુષ્યન્તિ ચ રમન્તિ ચ
મામ્ - મારા
કથયન્ત: - (ગુણ પ્રભાવનું) કથન કરતા
તુષ્યન્તિ - (તેઓ) સંતોષ પામે છે.
ચ - અને
રમન્તિ - આનંદ કરે છે.
ચ - અને બીજાને પણ આનંદ કરાવે છે.
મચ્ચિત્તા: - મારામાં એકાગ્ર ચિત્તવાળા
મદ્ગતપ્રાણા: - મારામાં પ્રાણોને અર્પણ કરનારા
નિત્યમ્ - નિરંતર
પરસ્પરમ્ - એકબીજાને
બોધયન્તઃ - બોધ કરતા
ચ - તથા
તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદી રહે છે. (૯)
ભાવાર્થ:
મચ્ચિત્તા: - મારામાં એકાગ્રચિત્તવાળા - ચેતનાની બે અવસ્થાઓ છે - એક દોડતી અવસ્થા અને એક સ્થિર ઉપરામ અવસ્થા.
ચેતનાની દોડતી અવસ્થાનું નામ મન - ચિત્ત.
ચેતનાની ઉપરામ અવસ્થાનું નામ આત્મા.
જેમ પવનની દોડતી સ્થિતિનું નામ વંટોળિયો અને પવનની ઉપરામ સ્થિતિનું નામ વાયુ (તત્ત્વ). ચેતનાની દોડતી સ્થિતિનું નામ મન. - મન એટલે કામના અને વાસનાનું જાળું - Bundle of desires - જયારે કામના - વાસનાથી ચેતના ઘેરાઈ જાય ત્યારે મન સંસારના ભૌતિક ઇન્દ્રિયજન્ય વિષયો તરફ દોડયા જ કરે. જયારે વાસના - કામનાનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે મનનો લય થાય અને તે વખતે ચેતનાની ઉપરામ સ્થિતિ થાય ત્યારે આત્મરતિ - આત્મતૃપ્તિ - આત્મસંતુષ્ટિ થાય, તે અવસ્થામાં "મચ્ચિત્તા:" થઇ શકાય.