ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચૈશ્રવા, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ.(૨૭)
ભાવાર્થ:
(૨૪) અશ્વાનામ્ ઉચ્ચૈઃશ્રવસમ્
ઘોડાઓમાં ઉચ્ચૈ:શ્રવા ઘોડો પરમાત્માની વિભૂતિ છે. ઉચ્ચૈઃશ્રવસ એટલે જોરથી અવાજ કરનાર અને અમૃતથી ઉત્પન્ન થયેલો - આ તેની વિશેષતાઓને લીધે તે વિભૂતિ ગણાય છે.
(૨૫) ઐરાવતમ્ ગજેન્દ્રાણામ્
હાથીઓમાં ઐરાવત હું છું. ઉચ્ચૈ:શ્રવા અને ઐરાવત બંને સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી નીકળેલા ચૌદ રત્નો પૈકીના છે એ તેમની વિશેષતા છે.
(૨૬) નરાણામ્ ચ નરાધિપમ્
મનુષ્યોમાં રાજા મારી વિભૂતિ છે. કારણ કે સામાન્ય માણસો કરતા રાજામાં અનેક વિશેષતાઓ હોય છે.
ઘોડો - હાથી - રાજા કોઈ પણ કોટિના જીવોમાં જ્યાં અભિજાત્ય (દૈવી સંપત્તિ) પ્રગટ થાય, કોઈ વ્યક્તિત્વ પૂરી ખિલાવટથી ઉપલબ્ધ થાય, તેમાં પરમાત્માની પ્રતીતિ (વિભૂતિ) આસાનીથી કરી શકાય.