હું (શ્રોત) યજ્ઞ છું, હું (સ્માર્ત) યજ્ઞ છું, (પિતૃઓને અર્પણ કરાતું) સ્વધા (અન્ન) હું છું.
હું ઔષધ છું, હું મંત્ર છું, હું ઘી છું, હું અગ્નિ છું અને હોમવાની વસ્તુ પણ હું જ છું. (૧૬)
ભાવાર્થ:
ત્રીજા પ્રકારના લોકો (કર્મમાર્ગીઓ) મારી જુદા જુદા પ્રકારે ઉપાસના કરે છે. ઉપાસના ગમે તે હોય, ગમે તે માર્ગ હોય, ગમે તે વિધિ હોય, કોઈ ગમે તે માર્ગે ચાલે, ગમે તે દિશા પસંદ કરે પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભલે શ્રોતકર્મ હોય, વેદ વિહિત કર્મ હોય કે યજ્ઞ કર્મ હોય તે બધાંયમાં છેવટે આખરે તો હું જ છું. યજ્ઞની લપેટોમાં પણ મારો જ અગ્નિ છે. પિતરો માટે તેમને નિમિત્તે અપાતા અન્નમાં પણ હું જ મહાપિતરઃ છું. હું તમારા પિતાઓનો પણ પિતા છું, કારણ કે હું જ બધા જન્મો અને સમસ્ત સૃષ્ટિનું મૂળ છું. ઔષધિઓ હોય કે વનસ્પતિઓ હોય કે કોઈ વનસ્પતિઓથી પૂજા કરતો હોય કે ફૂલ ચઢાવતો હોય - બધું હું જ છું.
મંત્ર પણ હું છું, ઘી પણ હું જ છું, અગ્નિ પણ અને હવનરૂપ ક્રિયામાં પણ હું જ છું. તમે ગમે તે કરો, પરંતુ નિષ્ઠાથી અને મારુ સ્મરણ કરતા કરતા તમે કાંઈ પણ કરશો તો તમે મને જ પામશો. મારી ઉપસ્થિતિનો અનુભવ કરતા કરતા મારા રાજીપાની માટે તમે યજ્ઞમાં ઘી નાખો તો તે ઘી પણ હું જ છું. અને જે અગ્નિમાં નાખો તે અગ્નિ પણ હું જ છું. પરંતુ એટલું ધ્યાન રાખવું કે - શરત એ કે - તમારું કર્મ રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, ભગવદ્ પ્રીત્યર્થે, સમષ્ટિના કલ્યાણ માટે, કર્તાપણાના અહંકાર સિવાય, શ્રીકૃષ્ણાર્પણમસ્તુ કરીને શુભ નિષ્ઠાથી મારા રાજીપા માટે કરેલું હોવું જોઈએ. અંતઃકરણમાં ઉપાસનાની શુભનિષ્ઠા હશે તો તમે જે કાંઈ કરશો તેનાથી મને જ પામશો. તમે શું કરો છો તે સવાલ નથી, પરંતુ કેવા ભાવથી, કેવી નિષ્ઠાથી, કેવા હૃદયથી કરો છો તે મુખ્ય બાબત છે. ચીલાચાલુ માત્ર વેઠ ઉતારવા માટે જ યજ્ઞ - દાન - જપ - તપ યાંત્રિક રીતે કરો તેનો કોઈ અર્થ નથી.ઉપાસનાનો અર્થ પરમાત્માનું સતત સ્મરણ બની રહે. સ્મરણ પૂર્વક Mindfully, with constant remembering, ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કરેલું કોઈ પણ કર્મ ઉપાસના બની જાય છે. ક્યાં કર્યું? ક્યારે કર્યું? તે સવાલ નથી. કેવી રીતે કર્યું તે સવાલ મુખ્ય છે. All roads lead to God if ridden in the proper direction.