શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૫

કર્મ સંન્યાસ યોગ

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્ ।
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ॥૨૧॥

બાહ્યસ્પર્શેષુ અસક્તાત્મા વિન્દતિ આત્મનિ યત્ સુખમ્

સ: બ્રહ્મયોગયુક્તાત્મા સુખમ્ અક્ષયમ્ અશ્નુતે

અને :-

બ્રહ્મયોગયુક્તાત્મા - યોગ (સમાધિ) દ્વારા બ્રહ્મમાં સ્થિર ચિત્તવાળો

સ: - તે (યોગી)

સુખમ્ - (તે) આત્મસુખને

અક્ષયમ્ - અખંડ (નિરંતર)

અશ્નુતે - ભોગવે છે.

બાહ્યસ્પર્શેષુ - બહારના શબ્દાદિ વિષયોમાં

અસક્તાત્મા - આસક્તિરહિત ચિત્તવાળો

આત્મનિ - અંતઃકરણમાં

યત્ - જે

સુખમ્ - સુખને

વિન્દતિ - મેળવે છે,

બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો (મનુષ્ય) અંતઃકરણમાં જે સુખ મેળવે છે, તે અક્ષય સુખને તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો અનુભવે છે. (૨૧)

ભાવાર્થ

બાહ્યભોગોમાંથી આસક્તિ ઓછી થતા જ પોતાના આત્મામાં એક વિલક્ષણ આનંદ છે તેની અનુભૂતિ થાય છે.

બ્રહ્મયોગ: બાહ્ય પ્રવૃત્તિને હટાવીને મનની પ્રવૃત્તિ અંતર્મુખ કરવી તેને બ્રહ્મયોગ કહેવાય. સંસારી માણસ જેવી રીતે ચોવીસે કલાક સંસારના વિષયોનાં વિચારો કર્યા કરે છે તેવી રીતે બ્રહ્મયોગયુક્ત આત્મા બ્રહ્મના વિચારો અંતર્મુખ થઇને કરે છે. જિમી નાગરી કો ચિત્ત ગાગરીમેં.

ઇન્દ્રિયોનો ઇન્દ્રિયોના વિષયો મારફતે જયારે બાહ્ય સાંસારિક ભૌક્તિક પદાર્થો સાથે સંસ્પર્શ (touch) થાય છે ત્યારે તેનાથી મનમાં રાગ - દ્વેષ વગેરે દ્વંદ્વો પેદા થાય છે.

ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।

તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપન્થિનૌ ॥

( ગીતા - ૩/૩૪)

આ બે દ્વંદ્વો , બે વિપરીતોની વચમાં જે તટસ્થ રીતે ઉભો રહી જાય તે માણસ બહિર્મુખ મટીને અંતર્મુખ થઇ શકે અને ત્યારે તે 'બ્રહ્મયોગ યુક્તાત્મા' થઇ શકે.

સન્માન - અપમાન, સુખ-દુઃખ, મિત્ર - શત્રુ, લાભ - ગેરલાભ, જય - પરાજય, રાગ - દ્વેષ, શીત - ઉષ્ણ, સંગ્રહ - ત્યાગ, નિંદા - સ્તુતિ વગેરે જે વિપરીતો - દ્વંદ્વો છે તેમાં જે તટસ્થ રહીને સમત્વ (equilibrium of mind) કેળવે તે બ્રહ્મયોગયુક્ત થઇ શકે અને તે અક્ષય સુખમ્ (એટલે કે મોક્ષ, પરમાત્મામાં પ્રવેશ, સચ્ચિદાનંદગતિ ) પ્રાપ્ત કરી શકે (અશ્નુતે), વીતરાગ થઇ શકે.

સમસ્ત યોગનો સાર એટલો જ કે બે વિપરીત દ્વંદ્વોની વચમાં તટસ્થ થઈને સમત્વંથી ઉભા રહેવું. જે માણસ દ્વૈતમાં તટસ્થ સ્થિર થઇ શકે તે માણસ અદ્વૈતમાં (પરમાત્મા જે દ્વૈતથી પર છે તેમાં) પ્રવેશ - ગતિ કરી શકે. દ્વૈતમાં ભટકતી ચેતના અદ્વૈત (પરબ્રહ્મ)ને નહીં ઓળખી શકે, બ્રહ્મયોગ યુક્તાત્મા નહીં થઇ શકે.

પ્રીતિકર - અપ્રીતિકર, પક્ષ - વિપક્ષ, જન્મ - મૃત્યુ, આસક્તિ - વિરક્તિ, આ તમામ દ્વંદ્વોમાં તટસ્થ રહે તે અદ્વૈતને પ્રાપ્ત કરી શકે, બ્રહ્મયોગયુક્તાત્મા થઇ શકે.

દ્વૈત મોહમૂલક છે. પારમાર્થિક નથી. આ વાત સમજાવતા ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે

જોગ બીજોંગ ભોગ ભલ મંદા, હિત અનહિત મધ્યમ ભ્રમ ફંદા.

જન્મુ મરણું જ્યહા લગી જગ જાલુ, સંપત્તિ બિપતિ કરમ અરુ કાલુ.

ઘરની ધામ ધન પુર પરીવારું, સરગુ નરકુ જ્યહા લગી વ્યવહારુ.

દેખિયે સુનીય ગુનીય મન માહી, મોહમૂલ પરમારથ નહીં.

'વિજ્ઞાન ભૈરવ ' નામની એક અત્યંત નાની ચોપડી છે. તેમાં માત્ર ૧૧૨ સૂત્રો છે, પહેલા સૂત્રમાં પાર્વતી શંકરને પૂછે છે કે -

શાંત કેવી રીતે થાઉં?

આનંદ કેવી રીતે ઉપલબ્ધ કરું?

અમૃત કેવી રીતે મળે?

દરેક સૂત્રમાં આના આ એક જ સવાલો પાર્વતી પૂછે છે અને દરેક સૂત્રમાં શંકરે એક જ જવાબ આપ્યો છે કે -

શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, બંનેની વચ્ચે ઉભા રહો.

જન્મ અને મૃત્યુની બંનેની વચમાં ઉભા રહો.

બે વિપરીતોની વચમાં ઉભા રહો.

બે દ્વંદ્વોની વચમાં (નિર્દ્વંદ્વ) ઉભા રહો.

એટલે શાંતિ, આનંદ, અમૃતત્વ ઉપલબ્ધ થશે. સમત્વમાં અદ્વૈત બ્રહ્મનો આનંદ મળશે.