Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ ।
અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર ॥ ૪॥

અધિભૂતમ્ ક્ષર: ભાવઃ પુરુષ: ચ અધિદૈવતમ્

અધિયજ્ઞ: અહમ્ એવ અત્ર દેહે દેહભૃતામ્ વર

તથા:

પુરુષ: - વિરાટપુરુષ (હિરણ્યગર્ભ - બ્રહ્મા)

અધિદૈવતમ્ - અધિદૈવ છે. (અને)

એવ - જ (વિષ્ણુરૂપથી)

અધિયજ્ઞ: - અધિયજ્ઞ (સર્વ કર્મનો ફલદાતા)

અહમ્ - હું (વાસુદેવ છું)

ક્ષર: ભાવઃ - ઉત્પન્ન થઇ નાશ થનારા પદાર્થો

અધિભૂતમ્ - અધિભૂત છે.

ચ - અને

દેહભૃતામ્ - હે દેહધારીઓમાં

વર - શ્રેષ્ઠ અર્જુન !

અત્ર - આ (મનુષ્ય)

દેહે - શરીરમાં

નાશવંત પદાર્થ અધિભૂત છે. પુરુષ (ચૈતન્ય અધિષ્ઠાતા) અધિદેવ છે. તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ ! હું (વાસુદેવ) જ આ દેહમાં અધિયજ્ઞ છું. (૪)

ભાવાર્થ :

આ શ્લોકમાં બીજા ત્રણ પ્રશ્નો (પ્રશ્ન: ૪ - ૫- ૬) અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞનો જવાબ આપે છે.

ચોથો પ્રશ્ન - અધિભૂતં ચ કિં પ્રોક્તમ ? અધિભૂત કોને કહેવાય?

જવાબ - અધિભૂતં ક્ષરોભાવ: ક્ષરભાવ એટલે કે ઉત્પત્તિ વિનાશ ધર્મવાળા બધા પદાર્થ અધિભૂત કહેવાય.

ક્ષર એટલે વિનાશી. ભાવ એટલે પદાર્થ. સાતમા અધ્યાયના ચોથા શ્લોકમાં જે અષ્ટધા અપરા પ્રકૃતિ કહી છે તે જ આ ક્ષરભાવ છે. ભૂત તેમ જ All becomings તે બધું આ (અષ્ટધા) આઠ પ્રકારની પ્રકૃતિનું રૂપ છે અને તે જ મૂર્ત (વ્યક્ત) બ્રહ્મ છે અથવા આ બ્રહ્મનો મૂર્ત (વ્યક્ત) દેહ છે, જે સંપૂર્ણ વસ્તુ સમૂહ છે તે અધિભૂત ક્ષરભાવ છે. અને તે જ પરબ્રહ્મનું વિશ્વરૂપ છે. તેને ૧૫માં અધ્યાયમાં 'ક્ષર' પુરુષ કહે છે. (ક્ષર: સર્વાણિ ભૂતાનિ - ગીતા - ૧૫/૧૬). ક્ષર પુરુષ, ક્ષરભાવ, ક્ષર સત્તા, અષ્ટધા અપરા પ્રકૃતિ - એ જ અધિભૂત છે. આ વર્ણન અનેક તત્ત્વોનું નથી, પરંતુ એક જ તત્ત્વ (બ્રહ્મ)ના અનેક પાસાંઓનું છે.

That can be constructed can also be destructed. બ્રહ્મ (અસ્તિત્વ) અખંડ છે, કારણ કે અસીમ છે જયારે પદાર્થ (All becomings ભૂત) સીમિત હોવાથી નષ્ટ થઇ શકે છે.

પાંચમો પ્રશ્ન - અધિદૈવ કિં ઉચ્યતે?

જવાબ - પુરુષ: ચ અધિદૈવતમ

હિરણ્યમય પુરુષ જેના શાસ્ત્રોમાં "સૂત્રાત્મા", "હિરણ્યગર્ભ", "પ્રજાપતિ", "બ્રહ્મા" વગેરે નામો છે તે પુરુષને અધિદૈવ કહેવાય છે. પુર એટલે દેહ. દેહનગરીમાં (દેહપુરીમાં) અજ્ઞાન નિદ્રામાં જાગૃત થાય ત્યાં લગી સૂતેલો રહેતો હોવાને લીધે તેને જીવાત્મા (પુરુષ) કહે છે એને જ ૧૩ માં અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ કહે છે.

ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે ।

એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ગીતા - ૧૩/૨॥

દેવ ઉપરથી દૈવત શબ્દ બને. દેવ એટલે ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોને ઉદ્દેશીને તેના સ્વામી તરીકે વર્તતો હોઈને જીવાત્માને (પુરુષને) અધિદૈવત કહે છે. સાતમા અધ્યાયમાં તેને જીવભૂતામ્ પરાપ્રકૃતિ કહે છે. અને પંદરમાં અધ્યાયમાં તેને કૂટસ્થ કહે છે.

પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।

જીવભૂતામ્ મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥ ગીતા - ૭/૫॥

કૂટસ્થોઽક્ષર ઉચ્યતે ॥ ગીતા - ૧૫/૧૬॥

છઠ્ઠો પ્રશ્ન : અધિયજ્ઞ: કથં કો અન્ન દેહે અસ્મિન ?

અહીં અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે?

જવાબ : અધિયજ્ઞ: અહમ્ એવ અન્ન દેહે

આ શરીરમાં હું (વાસુદેવ) જ વિષ્ણુરૂપમાં અધિયજ્ઞ છું. પરમાત્મા પોતે જ અધિયજ્ઞ છે. આ શરીરમાં ઈશ્વર જ અધિયજ્ઞ છે એટલે કે શ્રોતસ્માર્ત યજ્ઞોને ઉદ્દેશીને તેના અધ્યક્ષ તરીકે અને ફલદાતા તરીકે વર્તતા હોઈને પરમાત્મા જ અધિયજ્ઞ છે. એટલે કે આ શરીર દ્વારા થતા તમામ કર્મોના અધ્યક્ષ અને ફલદાતા તરીકે પરમાત્મા વર્તતા હોઈને શરીરમાં રહેલા પરમાત્મા જ અધિયજ્ઞ છે. આ દેહમાં જે યજ્ઞ થઇ રહ્યો છે, જે કર્મ થઇ રહ્યા છે તેનો અધિષ્ટાતા હું અધિયજ્ઞ છું. મનુષ્ય જીવન એ સો વર્ષ ચાલનારો સત્ર - યજ્ઞ છે. મનુષ્ય જીવન ઉત્તમ યજ્ઞમય - યજ્ઞેય પવિત્ર જીવન હોવું જોઈએ. આ યજ્ઞપુરુષ અધિયજ્ઞ તે જ છે કે જેને પ્રથમ જ "અક્ષર પરબ્રહ્મ" કહ્યો છે, કેમ કે તે જ અધ્યાત્મ બનીને પ્રત્યેક પ્રાણીમાત્રમાં નિવાસ કરે છે, તે જ પોતાની શક્તિને પ્રગટ કરવા માટે પરમ પુરુષાર્થ - શ્રેષ્ઠ કર્મ કરે છે, તે જ ક્ષરભાવથી (અધિભૂત) સ્થૂળરૂપમાં પ્રગટ થાય છે અને તે જ સર્વ ચૈતન્યરૂપ હોવાથી પ્રાકૃતિક વિશ્વમાં પુરુષરૂપે વ્યાપી રહ્યો છે અને તે જ માનવી જીવનરૂપી યજ્ઞનો અધિષ્ઠાતા (અધિયજ્ઞ) છે.

આ રીતે આ છ પ્રશ્નોના ઉત્તરથી એક જ પરબ્રહ્મના છ પાસાંનું વર્ણન થયેલું છે. માનો કે આ છ પાસાંમાં પરબ્રહ્મનો અનુભવ થાય છે. દરેકેન આ આત્મજ્ઞાન થવું જોઈએ.