અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રી હોય, વાદળોવાળાં છ મહિનાના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. (૨૫)
ભાવાર્થ:
આ બે શ્લોકોમાં વપરાયેલા શબ્દો પ્રતીકાત્મક (symbolic) છે અને તેના આધ્યાત્મિક અર્થ પણ છે.
(૧) અગ્નિ દેવતા - એટલે વૈરાગ્ય
(૨) સૂર્ય દેવતા - એટલે વિવેક, જાગૃતિ
(૩) દિવસનો દેવતા - એટલે યજ્ઞકર્મ - નિષ્કામ કર્મ
(૪) શુક્લપક્ષનો દેવતા - એટલે ભક્તિ વધવાની સ્થિતિ
(૫) છ માસ ઉત્તરાયણના દેવતા - એટલે વાસના રહિતતા
અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લપક્ષની ચંદ્રિકા, આ શબ્દો માર્ગદર્શક પ્રકાશના સૂચક છે, જયારે ધુમાડો, રાત્રી વગેરે શબ્દો અંધકારના સૂચક છે. ઉત્તરાયણમાં વૃષ્ટિ થતી નથી તેથી પ્રવાસમાં સુગમતા રહે છે. દક્ષિણાયનમાં વૃષ્ટિને કારણે અગવડ રહે છે.
શુક્લ પક્ષ એટલે શુદ્ધપક્ષ - નિષ્કામ કર્મ
કૃષ્ણ પક્ષ એટલે અશુદ્ધપક્ષ - સકામ કર્મ
શુક્લપક્ષ = જ્ઞાન માર્ગ = નિર્ગુણ ઉપાસના
કૃષ્ણપક્ષ = કર્મ માર્ગ = સગુણ ઉપાસના
ઉત્તરાયણનો સમય ૨૩ ડિસેમ્બર થી ૨૩ જૂન
દેવયાન માર્ગ - પિતૃયાન માર્ગ
અર્ચિરાદિ માર્ગ - ધ્રુમમાર્ગ
છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ વિગેરેમાં આ માર્ગોનું વર્ણન આવે છે.