વેદાંત વિચાર
પ્રકરણ પહેલું : બ્રહ્મનું સ્વરૂપ
૫. બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર
સાદી સરળ ભાષામાં બ્રહ્મનો ખ્યાલ આપવો હોય તો એમ કહી શકાય કે બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર.
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્યનારાયણ આખા વિશ્વને પ્રકાશ આપે છે
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને ચંદ્ર આખા વિશ્વના પ્રાણી, પદાર્થ, વનસ્પતિને અમૃતમય શીતળતા આપે છે
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને તારાઓ, ગ્રહો, નક્ષત્રો, આકાશમાં અધ્ધર ટીંગાઈ રહ્યા છે
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરે હજારો માઈલની ઝડપે આકાશમાં ઘૂમી રહ્યા છે
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને પૃથ્વી તમામ પ્રાણી, પદાર્થો, નદીઓ, પર્વતોને ધારણ કરી શકે છે. અને વાયુ વાય છે
જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને અગ્નિ ગરમી આપી શકે છે
તે અમોઘ ચૈતન્યનો મહાસાગર તેનું નામ બ્રહ્મ.
બ્રહ્મ એટલે ચૈતન્યનો ઓઘ.(Reservoir of all energies)
જે ચૈતન્યના પ્રભાવ વડે કરીને પ્રાણીના પ્રાણ ચાલુ રહે છે અને શ્વાસપ્રશ્વાસ લઇ શકે છે.
જે ચૈતન્યની શક્તિથી આંખો જોઈ શકે છે, વાણી બોલી શકે છે, જીભ સ્વાદ લઇ શકે છે, નાક ગંધ પારખી શકે છે, કાન સાંભળી શકે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શનો અનુભવ કરી શકે છે.
જે ચૈતન્યની શક્તિથી સમસ્ત વિશ્વનો અને અનેક કોટી બ્રહ્માંડોનો વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલે છે, સૂર્ય એક સેકંડના પણ વિલંબ વગર નિયમિત ઉગે છે અને આથમે છે.